નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે રાજકોટના 55 સહિત ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ ફસાયા છે. જોકે, તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રાજ્ય સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર નેપાળ સરકારના સતત સંપર્કમાં છે.
જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના જણાવ્યા મુજબ રાજકોટના આ 55માંથી અગ્રવાલ ભવનમાં 40 હોટલ, પશુપતિનાથમાં 6, ગુરખા હેરિટેજમાં 3, કાઠમાંડુમાં 3 અને ગ્રાઉન્ડ હોટેલમાં પણ 3 નાગરિકો છે.આ 55 નાગરિકોમાંથી મોટાભાગના લોકો સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયા છે જયારે અન્ય નાગરિકો ચાર થી પાંચ દિવસમાં વતન પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે, નેપાળમાં તોફાનો હવે ત્યાંના નાના નાના શહેરોમાં પણ પ્રસરવા લાગ્યા છે. જેમાં નેપાળની યાત્રાએ ગયેલા રાજકોટ સહિત રાજયભરના યાત્રાળુઓ ફસાઈ ગયેલા છે. જેમાં રાજકોટના 55 જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે.કેટલા યાત્રાળુ બાય રોડ આવવા માટે રવાના પણ થઈ ચૂક્યા છે તેમજ અમુક યાત્રાળુ આવતીકાલે ગુજરાત આવવા માટે રવાના થશે.
નેપાળમાં તોફાનો નાના શહેરો સુધી ફેલાતા યાત્રાળુઓ ત્યાંની હોટલોમાં સુરક્ષિત રીતે રોકાયા હતા. રાજ્ય સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
