ચૌધરી ગ્રુપના અબજોપતિ ચેરમેને તબાહી વર્ણવી
નેપાલમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ 50,000 કરોડ રૂૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું. આ મુદ્દે બોલતાં બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ’બુધવારે આવેલા વિનાશક પૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં ઓછામાં ઓછા પાંચ અબજ ડોલર (લગભગ 50,000 કરોડ રૂૂપિયા)નો ખર્ચ થઈ શકે છે. જો અંતિમ ખર્ચ આ સ્તરે પહોંચે તો મને આશ્ચર્ય થશે નહીં. ફક્ત પૈસા જ નહીં, એમાં લાગતો સમય અને મુશ્કેલ ભૂગોળ છે. આપણી સામે એક મોટો મુદ્દો છે. પાવર-સ્ટેશનોને પણ નુકસાન થયું છે. અમારું ગ્રુપ આ પ્રયાસ પર જે રકમ ખર્ચ કરશે એ 2015માં આવેલા ભૂકંપ બાદ કરવામાં આવેલા ખર્ચ કરતાં વધારે હશે.’
ચૌધરી ગ્રુપ 12 વ્યાવસાયિક ક્ષેત્રોમાં ફેલાયેલું છે, જેમાં ખોરાક અને ટેલિકોમથી લઈને માળખાગત સુવિધાઓ અને બેન્કિંગનો સમાવેશ થાય છે. ચૌધરી ગ્રુપ સરકાર, સ્થાનિક ભાગીદારો અને સેના સાથે કામ કરી રહ્યું છે અને આગામી બે દિવસમાં વિસ્થાપિત લોકો માટે પુનર્વસન કેન્દ્રો સ્થાપવા માટે એના સ્ટાફને એકઠો કર્યો છે. ત્યાર બાદ એ ઘરો બનાવવાનું અને અસરગ્રસ્ત વ્યવસાયો અને સ્કૂલોને ટેકો આપવાનું શરૂૂ કરશે.
