ગુજરાત
રાજકોટમાં જન્માષ્ટમી પર્વમાં 27 ઈંચ વરસાદ: કુલ 43 ઇંચને પાર
ભારે વરસાદથી 150 ફૂટ રિંગ રોડ, સેંકડો સોસાયટીઓ, અંડરબ્રિજ જળબંબાકાર: અલગ અલગ સ્થળે 223 વૃક્ષ ધરાશાયી, 1374 લોકોનું સ્થળાંતર, 6390 ફૂડ પેકેટનું વિતરણ
રાજકોટ શહેરમાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ અંતે રાંધણછઠ્ઠના દિવસે એન્ટ્રી કરી સતત છ દિવસ સુધી એકધારો વરસાદ વરસાવતા છ દિવસમાં 27 ઈંચ જેટલુ પાણી વરસી ગયું હતું અને મોસમનો કુલ વરસાદ 43 ઈંચને પાર થઈ ગયો છે. સતત વરસાદના પગલે શહેરના મોટાભાગના અંડરબ્રીજ તેમજ જંગલેશ્ર્વર, ભગવતીપરા, રામનાથપરા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેવી જ રીતે અનેક સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં જન્માષ્ટમીનો તહેવાર હોવા છતાં લોકો ઘરમાં પુરાઈને રહેવા મજબુર બન્યા હતાં. છ દિવસના વરસાદે શહેરમાં ભારે તારાજી વેરી હતી. અને તંત્ર દ્વારા લલ્લુડી વોકડી, જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાંથી 1374 લોકોનું સલામત સ્થળાંતર કરાયુ હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 220થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતાં. અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા 6390થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં સતત 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ડીપ ડિપ્રેશનને કારણે 31 તારીખ સુધી રેડ એલર્ટ અપાયું છે. 24મીથી અનરાધાર વરસાદ પડ્યા બાદ રાતથી વરસાદે વિરામ લીધો હતો. બુધવારે બપોર સુધી માત્ર છાંટા પડ્યા હતા. બપોરે 12 કલાકે વરસાદ શરૂૂ થયો હતો જે સાંજ સુધી અલગ અલગ ગતિએ પડ્યો પણ સાથે સાથે ભારે પવનોએ લોકોની મુશ્કેલી વધારી દીધી હતી. જનજીવન થાળે પડે તે પહેલાં જ ભારે પવન અને વરસાદે ફરીથી લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કરી દીધા હતા. તા. 24થી શરૂ થયેલ વરસાદ તા. 29 બપોર સુધી ચાલુ રહેતા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 43 ઈંચ થયો છે. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કુલ વરસાદ 52 ઈંચથી વધુ નોંધાશે તો તે 14 વર્ષનો નવો રેકોર્ડ બનશે.બુધવારે બપોરે વરસાદ અને ભારે પવન શરૂૂ થયા બાદ શહેરના અલગ અલગ અન્ડરબ્રિજમાં ફરીથી પાણી ભરાયાં હતાં જેથી તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો જેથી અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મનપાના ચોપડે 160 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે.
ભારે વરસાદના પગલે કેવડાવાડી વિસ્તારમાંથી પસાર થતા વોંકળાના કાંઠે અનેક મકાનો બનાવાયા છે. આ પૈકી એક મકાન વહેલી સવારે કડાકા સાથે તૂટી ગયું હતું. રહેવાસીઓના જણાવ્યા અનુસાર મકાનની પાછળનો ભાગ વોંકળા કાંઠે હતો અને બિલ્ડિંગ પડતા પહેલાં ધ્રુજારીનો અવાજ આવતાં જ આસપાસના લોકો બહાર નીકળી ગયા હતા. રાજકોટ શહેરમાં ગત શનિવાર મધરાતથી શરૂૂ થયેલા ધોધમાર વરસાદ અને આજી ડેમ ઓવરફ્લો થતાં આજીનદીમાં ઘોડાપૂર આવ્યા છે. રામનાથપરા પોલીસલાઇનથી ચુનારાવાડ તરફ જતા પુલ પરની લોખંડની રેલિંગ પાણીના પ્રવાહમાં ઊખડી ગઇ હતી અને પુલ પરથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. શહેરમાં તા.24/08/2024ની રાતથી તા.29/08/2024 સુધીમાં રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ઉપરાંત નાયબ કમિશનરઓ તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયરઓવ સહીત રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ સતત ફિલ્ડમાં રહેલ અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી લોકો તરફથી મળેલ ફરિયાદોનો નિકાલ કરવા માટે અવિરત કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત ચાલુ વરસાદ દરમિયાન તેમજ વરસાદ બંધ થાય ત્યારબાદ પણ વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરવાની થતી કામગીરી ઝડપભેર થાય તે સુનિશ્ચિત કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ આપેલા આદેશ મુજબ જ ચાલુ વરસાદ દરમ્યાન તેમજ વરસાદ બંધ થયા બાદ પણ શહેરનાં જુદાજુદા વિસ્તારોમાં સ્ટોર્મ વોટરના નિકાલ માટેની જાળીઓમાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે મુજબ કામગીરી કરવામાં આવી હતી. તા.26/08/2024થી તા.29/08/2024 દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તાર જેવા કે, નરસંગપરા, રૂૂખડીયા, ભવાનીનગર શેરી 1 થી 9, લલુડીવોકડી વિસ્તાર, ભગવતીપરા, રામનગર થોરાળા પાસે, એકતા કોલોની જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ-1374 લોકોનું રાજકોટ મહાનગરપાલિકાના રેનબસેરા અને નજીકની શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કુલ-6390 ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ભારે વરસાદ અને પવનને પગલે શહેરમાંથી કુલ-223 વૃક્ષો ધરાશાયી થવાની અને 66 જેટલી વોટર લોગિંગની ફરિયાદો આવી હતી જેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી કુલ-176 નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મોકલી આપવામાં આવેલ છે.
સતત 6 દિવસ સુધી વરસાદ વરસતા લોકો ધરાર ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા: તહેવારો પાણીમાં ગયા
6 દિવસનો ઝોનવાઈઝ વરસાદ
તારીખ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન
24-08-24 1.00 1.00 2.00
25-08-24 201.00 164.00 174.00
26-08-24 149.00 118.00 131.00
27-08-24 294.00 218.00 283.00
28-08-24 91.00 51.00 84.00
29-08-24 24.00 10.00 20.00
કુલ (મીમી) 760.00 562.00 694.00
મૌસમનો સરેરાશ વરસાદ
સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન
1191 મીમી 872 મીમી 1126 મીમી
કુલ વરસાદ 672 મીમી = 43 ઈંચ
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ