જામનગરમાં મારુ કંસારા હોલની પાછળના ભાગમાં આવેલી સોસાયટી કે જયાં કોળી સમાજના 26 જેટલા પરિવારો વસવાટ કરતા હતા, તેઓને યજ્ઞેશ રતીલાલ રાણપરીયા ની ગેંગ દ્વારા પ્લોટ પાડીને સરકારી જગ્યામાં ખોટા દસ્તાવેજો ના આધારે મકાનો બનાવી દેવાયા હતા, જેના પર તાજેતરમાં ડીમોલેશન કરી દેવાયું હતું, અને તમામ ગરીબ પરિવાર રોડ રસ્તા પર આવી ગયા છે.
ત્યારે આજે બીજી વખત જિલ્લા કલેક્ટર સમક્ષ તમામ પરિવાર રેલી સ્વરૂૂપે કોળી સેનાના પ્રમુખ જીતે શિંગાળા ની આગેવાનીમાં પહોંચ્યા હતા, અને પોતાને રાણપરિયા ગેંગ કે જેઓના ત્રાસ માંથી મુક્તિ અપાવવા અને તમામ જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. 26 જેટલા ગરીબ કોળી પરિવારના સભ્યોને યજ્ઞેશ રાણપરીયા ની ગેંગ દ્વારા સરકારી જમીનના ખોટા પુરાવા બનાવી પોતાની જય સરદાર ટ્રેડિંગ કંપની ના નામે જમીન દર્શાવીને તમામ પરિવારો સાથે છેતરપિંડી કરી હતી.
દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત તમામ મકાનના દબાણો ગેરકાયદે હોવાનું જણાવીને દૂર કરી નાખ્યા હતા, અને તમામ પરિવારો હાલ રોડ પર આવી ગયા છે. જે અંગે અગાઉ પણ મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેને હજુ સુધી ન્યાય મળ્યો ન હોવાથી આજે ફરીથી તમામ પરિવારો કોળી સેના ના પ્રમુખ જીતેશ શિંગાળા ની રાહબરી હેઠળ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, અને પોતાને ન્યાય અપાવવા અને રાણપરીયા ગેંગના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.
