ચોતરફ ગંદકી-કાદવનું સામ્રાજ્ય, 3416 લોકોને બચાવાયા, 3862નું સ્થળાંતર, હવે રોગચાળાની ભીતિ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. જેમાં સુરત, જૂનાગઢના માંગરોળ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 7 જુલાઈના રોજ સુરતના કામરેજ, પલસાણા સહિતના તાલુકામાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. જ્યારે સુરત શહેરમાં છેલ્લાં 38 કલાકમાં 19 ઈંચ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિમાં સુરતમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં એક જ દિવસમાં 11 ડૂબવાથી, 1 કરંટથી મળીને કુલ 15 લોકોના મોત નીપજ્યાં હોવાનું જણાય છે.
અતિભારે વરસાદી આફત બાદ સુરતમાં સ્થાનિક તંત્ર,NDRF-SDRFની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 8 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યૂ કરાયા તેમજ 3862 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જયારે માલ-મિલકતને કરોડોનું નુકશાન થવા પામેલ છે.
સુરતમાં અતિભારે વરસાદી કહેરની સ્થિતિમાં એક દિવસમાં કરંટ, ડૂબવા સહિતની દુર્ઘટનામાં કુલ 15ના મોત નીપજ્યા હોવાનું જણાય છે. જેમાં ડિંડોલી, પુણાગામ, પાંડેસરા, રાંદેર સહિતના વિસ્તારોમાં બનેલી દુર્ઘટનામાં લોકોના મોત થયા છે.
સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી, બારડોલી, અંબિકા સહિતના વિસ્તારોમાં 10-10 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચારેય બાજું પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે પૂરની સ્થિતિથી જનજીવન ખોરવાયું છે. સુરતમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા અનેક લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા SDRF, NDRF અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
આ પરિસ્થિતિમાં સુરતના પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર અને ગઢા નગરના ગળાડૂબ પાણીમાં ફસાયેલા 150થી વધુ લોકો, જઉછઋની ટીમે અને પાંડેસરા સ્થિત શ્રીરામ નગર સોસાયટીમાં NDRFની ટીમ દ્વારા 36 પુરુષો, 27 મહિલાઓ, 22 બાળકો એમ કુલ 85 લોકોનું રેસ્ક્યૂ કર્યું.
સુરતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 71 પુરુષ, 53 મહિલા અને 19 બાળકો સહિત કુલ 143થી વધુ લોકોને NDRFના જવાનો દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. સુરતના ગોડાદરા વિસ્તારમાં NDRFની ટીમ દ્વારા 210 પુરુષ, 80 મહિલા, 23 બાળકો મળીને કુલ 313 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને તમામને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા છે.
પલસાણામાં 18 ઇંચથી વધુ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાતા પૂરના પાણીમાં ફસાયા છે, તેવી સ્થિતિમાં હવે વરસાદી માહોલ શાંત છે ત્યારે તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિકોની રેસ્ક્યૂની કામગીરી લાગ્યા છે. જેમાં પલસાણા તાલુકામાં ફસાયેલા 19 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
સુરત શહેરમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, ત્યારે પૂરગ્રસ્ત સ્થિતિમાં રેસ્ક્યૂ કરાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે તંત્ર દ્વારા 9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાન આવી છે. ઓલપાડ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારો દેલાડ, ટકારમા અને સિથાણ ગામે ખાડીમાં પાણીનો નિકાલ સુચારૂૂ બને તે માટે જેસીબી દ્વારા કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
