રાજકોટનાં હિરાસર ખાતે રહેતાં જગદીશભાઈ ચનાભાઈ સોલંકી નામના યુવાનનો ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં નકલી એકાઉન્ટ ખોલી અને તેમના નામના 11 જેટલા એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોય અને જે બાબતે જગદીશભાઈને ઈન્કમટેક્ષની નોટિસ આવતાં આ મામલે એડવોકેટ અનિલ તોમર મારફતે ચૈન્નઈ ખાતે આવેલી ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, જગદીશભાઈ સોલંકી પોતાનું આધાર અપડેટ કરાવવા માટે રાજકોટનાં ગોંડલ રોડ ખાતે આવેલ ઈક્વિટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમના ડોકયુમેન્ટના આધારે અલગ અલગ 11 જેટલા એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને આ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોય આ છેતરપીંડીના રૂપિયા જમા કરાવી આ ખાતાનો ફ્રોડ ટ્રાન્ઝેકશનમાં ઉપયોગ થયો હોય જેમાં ઈન્કમટેક્ષની નોટિસ આવતાં જગદીશભાઈ ચોંકી ઉઠયા હતાં.
આ મામલે બેંકના હેડ ઓફિસ ખાતે ફરિયાદ કરવામાં આવી છે અને ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકના કર્મચારીની પણ આમા મીલીભગત હોવાની શંકા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકના કર્મચારીઓની મદદથી જગદીશભાઈના નામના અલગ અલગ 11 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોય આ એકાઉન્ટમાંથી વ્યવહારો થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે જો બેંક દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મામલે પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવશે તેમ બેંકની હેડ ઓફિસને જણાવવામાં આવ્યું છે.
