કાલેે મનપાના 751.19 કરોડના 45 પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/03/2026ને શનિવારના રોજ બપોરે 03:00 કલાકે, પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂૂ. 751.19 કરોડના 45 વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પૂર્ણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો અમલમાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં માન. મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, પ્રોટોકોલ, ગુજરાત સરકાર તથા રાજકોટ જીલ્લા પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, માન. રાજ્યકક્ષા મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત સરકારના દર્શનાબેન વાઘેલા, રાજકોટના માન. સંસદસભ્ય પરસોત્તમભાઈ રૂૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા, માન. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, માન. ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, માન. ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ગરિમામય ઉપસ્થિતિ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂૂ.207.31 કરોડના 5 મહત્વપૂર્ણ, આવાસ, પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબૂત બનાવશે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટમાં રેલનગર વિસ્તારમાં રૂૂ. 119.05 કરોડના ખર્ચે ટી.પી. 19 (રાજકોટ)માં કુલ 25071.15 ચો.મી. ક્ષેત્રફળના બે પ્લોટમાં EWS- II પ્રકારના 1010 આવાસો તથા 47 દુકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવેલ છે.
લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂૂ. 543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે. બાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂૂ. 368.01 કરોડના કુલ 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂૂ. 173.17 કરોડના 7 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે.
આ તમામ પ્રકલ્પો પૂર્ણ થતા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનશે, સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે, ડ્રેનેજ નેટવર્ક વિસ્તરશે, માર્ગ સુવિધાઓમાં સુધારો થશે તેમજ નાગરિકોને આધુનિક નગર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ઉપરાંત શહેરના વિસ્તરતા વિસ્તારોમાં જરૂૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે જે ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ વિકાસપ્રકલ્પો શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત, આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તા. 28/03/2026ના રોજ કુલ રૂૂ. 751.19 કરોડના 45 વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે.
કાલે મુખ્યમંત્રીના ચાર કાર્યક્રમ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ મહાનગરપાલિકાના કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રી બપોર બાદ સીધા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ તેમનો સાંજે 4:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિમાં હાજરી આપશે. ત્યારબાદ મેઘાણી રંગ ભવન ખાતે કાર્યક્રમ હાજરી આપ્યા બાદ લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત ભવનના લોકાર્પણ તથા પ્રતિમા અનાવરણ કાર્યક્રમ હાજરી આપશે અને પેડક રોડ અટલબિહારી ઓડિટોરિયમ ખાતે એ કાર્યક્રમ હાજરી આપ્યા બાદ તેવા સાંજે ગાંધીનગર જવા માટે રવાના થશે.
