સુરેન્દ્રનગરના ફુલવાડી ગામે 45 એકર જમીન મામલે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અમદાવાદના નિવૃત્ત નાગરિક ગૌતમભાઈ બ્રોકરે પાણશીણા પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદ અનુસાર, ગૌતમભાઈ ખેતીની જમીન ખરીદવા માંગતા હતા. તેમણે જમીન દલાલ બોધાભાઈ મકવાણા અને મુળજીભાઈ સેનવા સાથે સંપર્ક કર્યો હતો. આરોપીઓએ વિશ્વાસમાં લઈને અલગ-અલગ ખેડૂતો પાસેથી આશરે 45 એકર જમીન પોતાના નામે દસ્તાવેજ કરાવી હતી, જેના માટે ફરિયાદીએ લગભગ રૂૂપિયા 1.25 કરોડ ચૂકવ્યા હતા.
ફરિયાદીનો દાવો છે કે જમીન માત્ર સાચવવા માટે સમજૂતી કરાર અને કુલ મુખત્યારનામું કરવામાં આવ્યું હતું. જોકે, આરોપીઓએ કરારનો ભંગ કરીને ફરિયાદીની જાણ વગર જમીન પર બેંકમાંથી રૂૂપિયા 41 લાખની લોન મેળવી લીધી. ઉપરાંત, તેમણે વારસાઈમાં નામો ચડાવ્યા અને જમીનનો એક ભાગ અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજ કરી દીધો. બંને આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
