સાયલા નજીક ચાંદરેલીયાના બોર્ડ પાસે સામસામે બે બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નળખંભા ગામના 23 વર્ષીય જયેશભાઈ હરજીભાઈ પનારાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં, પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારજનો અને સામાજિક આગેવાનો ન્યાયની માંગ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મૃતદેહના પોસ્ટમોર્ટમમાં 12 કલાકથી વધુનો વિલંબ થતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. આથી, રોષે ભરાયેલા લોકોએ થાનગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, અસામાજિક તત્વો દ્વારા યુવાનનું મોત થયું હોઈ શકે છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી લોકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. આખરે, થાનગઢ પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળાઓ ઉમટી પડતાં તંત્ર દોડતું થયું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.
