બાબરા તાલુકાના ખંભાળા ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં યુવાને પોતાનું સગપણ નહીં થતાં તેની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. જેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટનામાં બાબરા પોલીસે તપાસ શરૂ કરી છે.
ખંભાળા ગામે રહેતાં ગોરા ઉર્ફે ગોરધનભાઈ મેવાડા નામના યુવાને ગઈ તા.1 ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગોરધન ત્રણ ભાઈ એક બહેનમાં બીજા નંબરનો હતો અને પોતે મજુરી કામ કરે છે. પરિવારજનોેએ જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈના લગ્ન થઈ ગયા હતાં. પરંતુ એક લગ્ન પ્રસંગમાં તેમણે પોતાનું દુ:ખ વ્યકત કરતાં પરિવારજનોને જણાવ્યું હતું કે નાના ભાઈનું સગપણ થઈ ગયું છે. હવે મારું સગપણ કયારે થશે ? તે ચિંતામાં જ તે માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેમણે પરિવારને કહ્યું હતું કે, તમે લોકો મારી સામે જોતા નથી અને બાદમાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
