રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છેે ત્યારે વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો ભરખી ગયો હતો. મહિકા રોડ પર રહેતો શ્રમિક યુવાન કારખાનાની ચાલુ બસે બેભાન થઇ ઢળી પડતા તેનું મોત નીપજયું હતું.
જાણવા મળતી વિગત મુજબ મહીકા રોડ પર શ્યામ કિરણ સોસાયટી શેરી નં.1માં રહેતો અને ગોંડલ હાઇવે પર આવેલા શક્તિમાન કારખાનામાં કામ કરતો રણછોડ કાનાભાઇ બલ્યા (ઉ.વ.37) નામનો યુવાન આજે સવારે કારખાનાની બસમાં બેસી કામે જતો હતો. દરમિયાન બસ પારડી નજીક પહોંચતા ચાલુ બસમાં બેભાન થઇ ઢળી પડતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ફરજ પરના તબ્બેક જોઇ તપાસી હાર્ટએટેકથી મરણ ગયાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક રણછોડભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
