રાજ્યના પોલીસ વડાને પાઠવેલી નોટિસ, ભાજપ નેતાની પોસ્ટ બાદ આયોગ એકશનમાં
રાજકોટમાં બનેલા લવ જેહાદ કેસમાં દિલ્હી મહિલા આયોગની એન્ટ્રી થઇ છે. 21 વર્ષીય નંદિની આનંદભાઈ બોઆસમિયાના સંદેહાસ્પદ મૃત્યુના કેસમાં નેશનલ કમિશન ફોર વુમેન એ સ્વમતે કાર્યવાહી કરી છે. મહિલા આયોગે ગુજરાત પોલીસને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે અને સાત દિવસમાં વિગતવાર કાર્યવાહી અહેવાલ માંગ્યો છે.
મહિલા આયોગના નિવેદન અનુસાર મીડિયા અહેવાલોમાં નંદિની પર લાંબા સમયથી શારીરિક, માનસિક અને આર્થિક શોષણના આરોપો છે. તેમને કથિત રીતે દબાણ કરીને હિસ્ટરેક્ટોમી સર્જરી કરવામાં આવી હતી. મૃત્યુ પહેલાં તેમણે શેર કરેલા અંતિમ સંદેશ અને આસપાસની પરિસ્થિતિઓએ કમિશનને ચિંતિત કર્યું છે. મહિલા આયોગે આ કેસને ગંભીર અને વેદનાદાયક ગણાવ્યો છે અને ગુજરાતના ડીજીપીને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.ભાજપના સીનીયર નેતા તેજેન્દ્ર બગ્ગાએ સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઇ પોસ્ટ કરી હોય જે પોસ્ટ બાદ મહિલા આયોગ એક્શન મોડમાં આવ્યું હતું.
આ બનાવમાં કમિશને નિર્દેશ આપ્યો છે કે યોગ્ય કલમો હેઠળ એફ.આઈ.આર નોંધવામાં આવે અને તમામ આરોપીઓની વહેલી તકે અટકાયત કરવામાં આવે. ફરજિયાત હિસ્ટરેક્ટોમીના આરોપોની વિગતવાર તપાસ કરવામાં આવે જેમાં સંડોવાયેલા હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફની ભૂમિકાની પણ તપાસ થાય. વધુમાં નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા વ્યાપક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ. આર્થિક શોષણની તપાસ કરી જો લાગુ પડે તો રકમ વસૂલ કરવામાં આવે. જુનાગઢમાં નોંધાયેલી અગાઉની ફરિયાદની સમીક્ષા કરવામાં આવે અને કોઈપણ સંસ્થાકીય ખામીઓની તપાસ થાય.
ભોગ બનનાર નંદિની જેતપુરની હતી અને તેઓ રાજકોટમાં રહેતી હતી. પરિવારના આરોપો અનુસાર તેમના જીવનસાથી અને સંબંધીઓએ તેમની સાથે અત્યાચાર કર્યો હતો. પોલીસે પ્રારંભિક તપાસ અકસ્માત તરીકે શરૂૂ કરી છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ચાલુ છે. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે. મહિલા આયોગે મહિલાઓના અધિકારો અને સુરક્ષાના મુદ્દાઓ પર નજર રાખવાની તેની જવાબદારી અનુસાર આ પગલું ભર્યું છે. ગુજરાત પોલીસ હવે આ નિર્દેશો અનુસાર કાર્યવાહી કરશે તેવી અપેક્ષા છે.
