શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે તુલશી પાર્કમાં રહેતી મહિલાએ સંતાન પ્રાપ્તિ ન થતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માન સરોવર પાર્ક નજીક તુલશી પાર્કમાં રહેતા અસ્મીતાબેન ગૌતમભાઈ હેરભા (ઉ.વ.30) નામની મહિલાએ આજે સવારે પોતાના ઘરે નવેરાની જાળીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક અસ્મીતા બેનના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતાં પતિ ડ્રાઈવીંગનું કામ કરે છે અને માવતર યાર્ડ પાછળ ભીચરી ગામે રહે છે સંતાન પ્રાપ્તિ ન થતાં લાગી આવવાથી તેણીએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવતી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
