પરિણીતાના મોતથી માસૂમ પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં શોક
પડધરીના ખાખરા બેલા ગામે તેલ ઢોળાવવા મુદ્દે પતિએ ઠપકો આપતા પરિણીતાને માઠુ લાગી આવ્યું હતું જેથી પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના આપઘાતથી એક વર્ષના માસુમ પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખાખરા બેલા ગામે રહેતી લીલાબેન કલ્પેશભાઈ રાઠવા નામની 27 વર્ષની પરિણીતા રાત્રિના નવેક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
જ્યાં પરિણીતાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરણીતા મૂળ મધ્યપ્રદેશની વતની હતી અને તેણીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા તેણીને સંતાનમાં એક વર્ષનો પુત્ર છે. લીલાબેનના હાથે તેલ ઢોળાઈ ગયું હતું જેથી પતિ કલ્પેશભાઈ રાઠવાએ ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગતા લીલાબેને ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
