કાલાવડમાં ઘર પાસેથી નીકળવા મુદ્દે યુવાન ઉપર હુમલો
સાવરકુંડલાના મેરીયાણા ગામે પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી પોતાની જાતે કેરોસીન છાંટી કાંડી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાના મેરીયાણા ગામે રહેતી સોનલબેન ઘનશ્યામભાઈ વાઘેલા નામની 40 વર્ષની પરિણીતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સોનલબેન વાઘેલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
પતિ ઘનશ્યામ વાઘેલા નાની-નાની બાબતે ઝઘડો કરી ત્રાસ આપતો હોવાથી સોનલબેન વાઘેલાએ કંટાળી જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજા બનાવમાં કાલાવડમાં આવેલા કૈલાશનગરમાં રહેતા વિશાલ રામજીભાઈ સાગઠીયા નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે સંજય જીકા જાડેજા નામના શખ્સે ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત વિશાલ સાગઠીયાના ભાઈ હિરેન કાર લઇ હુમલાખોર સંજય જાડેજાના ઘર પાસેથી નીકળતા સંજય જાડેજાએ અહીંયાથી કેમ નીકળ્યો તેમ કહી ઝઘડો કર્યો હતો. જે ઝઘડાનો ખાર રાખી વિશાલ સાગઠીયા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
