વાંકાનેરના રાતી દેવડી ગામે રહેતી પરિણીતાએ પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાના આક્ષેપ સાથે ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના રાતી દેવડી ગામે રહેતી પૂજબેન કૈલાશભાઈ વિકાણી નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેન વિકાણીના પતિ કૈલાશભાઈ વિકાણી ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડો કરી મારકુટ કરતા હતા જેથી પતિના ત્રાસથી કંટાળી પૂજાબેન વિકાણીએ ફીનાઇલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જોડિયાના બાલભા ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી મહિન્દ્રાબેન સોમાભાઈ મોહનિયા નામની 17 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
