બે વખત હુકમ થયા છતાં કોઈ વડિયા આવવા તૈયાર કેમ નથી, લોકોમાં ચર્ચા
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી મામલતદાર ઓફિસનો વહીવટ ઘણા સમયથી ઇન્ચાર્જ માં ચાલે છે. ઇન્ચાર્જ માં વહીવટ ચલાવનાર નાયબ મામલતદાર કેજરભાઈ સિંધી પોતાની આવડત અને સ્વચ્છ છબી ને કારણે ઘણા સમય થી ઇન્ચાર્જ માં તંત્ર ચાલતું હતુ. હાલ આ ઇન્ચાર્જ મામલતદાર ની બદલી રાજકોટ જિલ્લા માં થતા ટૂંકા ગાળામાં તે રાજકોટ જિલ્લા માં જતા અહીં નવ નાયબ મામલતદાર ના મહેકમ સામે ફક્ત ત્રણ +ઇન્ચાર્જ મામલતદાર કુલ ચાર નાયબ મામલતદાર થી ગાડુ ચાલી રહ્યું છે.
ત્યારે આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ અને વસ્તી ગણતરી જેવી મોટી કામગીરી આવતી હોવાના કારણે કાયમી મામલતદારની નિમણુંક જરૂૂરી બને છે. એથી પણ મહત્વ ની વાત એ છે કે અમરેલી જિલ્લા માં વડિયા ને સજાના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અહીં કોઈ અધિકારી આવવા તૈયાર ના હોય તેમ વડિયામાં છેલ્લા બે ત્રણ વર્ષમાં બે કાયમી મામલતદાર ની નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો પરંતુ રાજકીય આશીર્વાદ થી કોઈ અધિકારી અહીં આવવા તૈયાર ના હોય તેમ આજ દિવસ સુધી કોઈ કાયમી મામલતદાર આ બંને માંથી હાજર થયેલા નથી.
તો વડિયાને કાયમી મામલતદાર મળે અને વડિયા માં મકાનોની અછત થી કોઈ કર્મચારી અહીં આવવા તૈયાર ના હોવાથી અહીં સરકારી ક્વાટર્સ બનાવવામાં આવે તો ચોક્કસ વડિયાને સજાના કેન્દ્ર માંથી બહાર કાઢી શકાય. હવે જોવાનું એ રહ્યું કે વડિયામાં કાયમી મામલતદાર ની પોસ્ટિંગ જે અધિકારી ની થઇ છે તે હાજર થાય છે કે રાજકીય આશીર્વાદ થી તંત્ર ચાર્જમાં જ ચાલશે અને ખૂટતા કર્મચારીઓની ઘટ થી લોકોના કામ ટલ્લે ચડતા જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે.
