સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા પહેલાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ આપના પ્રમુખ નેતાઓ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને ચૈતર વસાવાના પોસ્ટર પર શાહી ફેંકીને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. આ પોસ્ટરમાં નેતાઓની તસવીરોમાં મુસ્લિમ ટોપી પહેરેલા બતાવાયા છે.
આ સભા આજે યોજાનારી હતી, જેમાં આપના આ ત્રણેય જાણીતા નેતાઓ મુખ્ય વક્તા તરીકે હાજર રહેવાના હતા. પાર્ટી દ્વારા પ્રમોશન માટે લગાવેલા પોસ્ટર્સમાં નેતાઓને મુસ્લિમ ટોપી પહેરાવીને ચિતરવામાં આવ્યા હતા, જેને VHPએ સામાજિક તણાવ વધારવાનું પગલું ગણાવ્યું છે. VHP કાર્યકરોએ પોસ્ટર પર કાળી શાહી ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો અને આવા પોસ્ટર હિંદુ વિસ્તારમાં લગાવવાને અયોગ્ય ગણાવ્યું.
હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લગાવવાથી સમાજમાં વિભાજન અને તણાવ વધે તેવું જોખમ છે. આ પાર્ટીની વોટબેંકની રાજનીતિ છે, જે અમને સ્વીકાર્ય નથી. તેમણે આ કાર્યક્રમને રદ કરવાની માંગ પણ કરી છે.
બીજી તરફ, આપના નેતાઓએ આ વિરોધને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. પાર્ટીના સ્થાનિક કાર્યકરોએ કહ્યું કે, પોસ્ટરમાં મુસ્લિમ સમાજને આમંત્રણ આપવું એ સમાવેશી રાજનીતિનો ભાગ છે અને તેનાથી કોઈ તણાવ સર્જાવાનો પ્રશ્ન જ નથી.આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ વધતાં સ્થાનિક પોલીસ જાગૃત બની છે.
