રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે ભીડભંજન મેઈન રોડ પર રહેતાં દિનેશભાઈ દેવજીભાઈ લાલકીયા (ઉ.45) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કાકા નારણભાઈ કાનજીભાઈ લાલકીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ ડ્રાઈવીંગ કરે છે.
જલારામ સોસાયટી શેરી નં.4માં તેમની વડીલો પાર્જીત દુકાન અને મકાન આવેલ હોય જેમાં તેના ભાગમાં આવેલી મિલકતમાં તેમની પત્ની હિમાનીબેન કપડાની દુકાન ચલાવતાં હોય ગઈકાલે રાત્રે તેઓ દુકાન નજીક તેમના મિત્ર પરેશભાઈની દુકાને હતા ત્યારે તેના કાકા નારણભાઈ તેમની પાસે આવેલા અને કહેલું કે ‘તારી પત્ની એ દુકાન કરેલ છે ત્યાં વાહન પાર્ક કેમ કરવા દેતાં નથી’ જેથી તેઓએ જણાવ્યું કે આપણા બધાનો ભાગ પડી ગયેલ છે તમારે અમારી બાજુ કોઈ વાહન મુકવા નહીં તેમ કહેતા તેના કાકાએ ઝઘડો કરી તેની પાસે રહેલી છરી વડે હુમલો કરી પડખામાં, ખંભા પર અને હાથમાં આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતાં અને જતાં જતાં ‘આજે તું બચી ગયેલ છો હવે પછી જીવતો નહીં રહેવા દવ’ તેમ ધમકી આપી હતી. બાદમાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને પેટના ભાગે છરીના બે ઘા લાગેલા હોય તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પીએસઆઈ બી.બી.કારેથાએ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
