હુમલામાં ઘવાયેલા ધ્રોલના યુવાનને સારવાર માટે ખસેડાયો
ધ્રોલમાં રહેતાં યુવાને મામાની દીકરીને આપેલા રૂા.12 હજારની ઉઘરાણી અર્થે મોરબી ગયો હતો ત્યારે મામાએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધ્રોલમાં આવેલા સ્વામીનારાયણ પાર્કમાં રહેતાં વિશાલ અનિલભાઈ પરમાર નામનો 25 વર્ષનો યુવાન ગઈકાલે મોરબીમાં આવેલા રિલાયન્સનગરમાં હતો ત્યારે તેના મામા વિજય બારોટે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત વિશાલ પરમારે હુમલાખોર મામાની દીકરી શારદાબેનને રૂા.12 હજાર ઉછીના આપ્યા હતાં. જે ઉછીના રૂપિયાની ઉઘરાણી અર્થે ગયેલા ભાણેજ ઉપર મામાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
