રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર રોડ સિલ્વર પાર્કમાં રહેતા યુવાન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર રાજમોતી મિલ પાછળ સિલ્વર પાર્ક શેરી નં.3માં રહેતો ભાઉ બદ્રી પ્રજાપતિ (ઉ.વ.38)નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.પ્રથામિક તપાસમાં મૃતક છ ભાઇ એક બહેનમાં નાનો અને લાદી કામ કરતો હતો. હાર્ટ એટેક આવી જવાથી મરણ ગયાનું અનુમાન છે.
બીજા બનાવમાં જામનગર હાઇવે પર પડધરી નજીક ન્યારાના પાટીયા પાસે આવેલા સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા હસમુખભાઇ ગોપાલભાઇ કડીવાલ (ઉ.વ.63)નામના વૃધ્ધ આજે સવારે વૃધ્ધાશ્રમ હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરી હતી.
