શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે મહિલાએ ફિનાઈલ પી લીધું હોવાના આક્ષેપ સાથે બંને મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા હીનાબેન રમેશભાઈ સોલંકી (ઉ.વ.48) અને રસીલાબેન રમેશભાઈ વઘેરા (ઉ.વ.40) પોત પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં હીનાબેન સોલંકીએ ફીનાઇલ અને રસીલાબેન વઘેરાએ પાવડર પી લીધો હતો.
બંને મહિલાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં હીનાબેન અને રસીલાબેનની પાડોશમાં રહેતા મંજુબેન ચૌહાણ ઘર પાસે સામાન રાખવા બાબતે અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતા. મંજુબેન ચૌહાણના ત્રાસથી કંટાળી હીનાબેન અને રસીલાબેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
