જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોવાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.બી. ચૌધરી તથા પો.સબ ઇન્સ. એમ.વી. ભાટીયા અને તેમની ટીમ દ્વારા જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા મુર્તુજા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ પઠાણ અને સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા પાસા વોરંટ જારી કરવામાં આવ્યા બાદ બન્ને આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
જેમાં મુર્તુજા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ પઠાણ સામે દારૂની પ્રવૃત્તિના 4 ગુના નોંધાયા છે, અને તેને સુરતની રાજપોર જેલમાં મોકલી દેવાયો છે. આ ઉપરાંત ઇનાયત ઉર્ફે ટાઇગર સામે દારૂની પ્રવૃતિના ત્રણ ગુના નોંધાયા છે, અને તેને વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.
