મોબાઇલની તપાસ દરમિયાન ખુલાસો
સુરત: આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે બે કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળવાના બનાવમાં સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચાવી છે. હવે પોલીસ તપાસમાં આ કેસમાં મહત્વના ખુલાસા સામે આવ્યા છે. માહિતી મુજબ, બંને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એકબીજાની નજીકની મિત્ર હતી. મૃતક યુવતીઓની ઓળખ રોશની અને જ્યોત્સના તરીકે થઈ છે. બંનેના મૃતદેહ મંદિરના બાથરૂૂમમાંથી મળી આવતા ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા હતા. પ્રારંભિક તપાસ બાદ પોલીસ દ્વારા બંને યુવતીઓના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી.
મોબાઈલમાંથી મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું કે, બંને યુવતીઓ તેમના – તેમના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સંબંધમાં હતી. પરંતુ છેલ્લા કેટલાક સમય દરમિયાન બંનેના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. પોલીસ સૂત્રો મુજબ, બંને યુવતીઓના તેમના બોયફ્રેન્ડ સાથે અંદાજે પંદર દિવસના અંતરે બ્રેકઅપ થયાં હતા. આ ઘટનાથી બંને યુવતીઓ ખૂબ જ માનસિક રીતે તૂટી પડી હતી. મિત્રતાના કારણે બંનેએ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ એકબીજા સાથે શેર કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સંબંધ તૂટવાથી બંને યુવતીઓ ભારે નિરાશામાં હતી. અંતે બંનેએ એક સાથે જીવલેણ પગલું ભરવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી પોલીસને મળી છે.
પોલીસ તપાસ મુજબ, બંને યુવતીઓએ એનેસ્થેસિયા સંબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ કરી પોતાનું જીવન સમાપ્ત કર્યું હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂૂ કરી છે અને ઇન્જેક્શન તેમને ક્યાંથી મળ્યું તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. આ બનાવે પરિવારજનો તેમજ શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. યુવતીઓના પરિવારજનો પર આ ઘટનાથી દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં સુરત સિટી પોલીસે સમગ્ર મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે મોબાઈલ ડેટા, કોલ રેકોર્ડ તથા અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ શરૂૂ કરી છે. સાથે જ યુવતીઓના મિત્ર વર્તુળ અને સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
