ટંકારાના જીવાપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં 14 વર્ષનો તરૂણ વાડીએ હતો ત્યારે અન્ય બે શ્રમિક બાળ મિત્રોએ ઝઘડો કરી ઝેરી દવા પીવડાવી દીધી હોવાના આક્ષેપ સાથે તરૂણનું સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ટંકારાના જીવા પર ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા પ્રદીપ દુનિયાભાઈ વસુનિયા નામનો 14 વર્ષનો બાળક સાંજના છએક વાગ્યાના અરસામાં અબ્બુભાઈની વાડી પાસે હતો ત્યારે અન્ય શ્રમિક પરિવારના રાકેશ અને સુર્યા નામના બે બાળકોએ ઝેરી દવા પીવડાવી દીધી હતી. સગીરને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં પ્રદીપ વસુનિયાના પિતા હયાત નથી અને પ્રદીપ વસુનિયા છ ભાઈ ત્રણ બહેનમાં નાનો અને મધ્યપ્રદેશનો વતની છે. માતા સાથે પ્રદીપ વસુનિયા જીવાપર ગામે ખેત મજુરી અર્થે આવ્યો છે. ગઈકાલે માતા ગોંડલ ગયા હતાં તે દરમિયાન પાછળથી બાળકો વચ્ચે ઝઘડો થતાં રાકેશ અને સુર્યાએ પ્રદીપ વસુનિયાને ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
