વચગાળાની જામીન અરજી પર બંનને પક્ષની દલીલો પૂર્ણ; ગમે તે ઘડીએ ચુકાદો
ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે આપનારા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કરેલી 15 દિવસના વચગાળાના જમીન મેળવવા કરેલી અરજીની આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષની સુનાવણી થતાં કોર્ટ દ્વારા અરજી નિર્ણય માટે અનામત રાખવામાં આવી છે. રાજકોટમાં છ માસ પહેલા એક સાથે 27 જેટલા માનવીઓ વિનાશક આગમાં જીવતા ભડથું થવાના આખા ગુજરાતને હચમચાવી દેનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડમાં અગાઉ 15 આરોપીઓ સામેના કેસમાં પ્રોસિક્યુશન તરફથી ચાર્જશીટ, તેમજ ચાર્જ ફ્રેમ અને 5000 પેજનો કુલ-467 દસ્તાવેજી પુરાવાઓ આરોપીઓના બચાવની તક માટે ખુલ્લા મૂકી દેવાયા બાદ પણ આરોપીઓ તરફથી વકીલ રાખવામાં નહીં આવતા કેસ વિલંબમાં મુકાયો છે, ત્યારે આ કેસના બે આરોપીઓ ખેડૂત જમીન માલિક ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ તેમના કૌટુંબિક ભત્રીજાના લગ્નની કંકોત્રી રજૂ કરીને લગ્ન પ્રસંગ નિમિત્તે 15 દિવસની વચગાળાના જામીનની અરજી કરી હતી, જે સંદર્ભે આજે એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સીંઘની કોર્ટમાં સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પી.પી. નિતેશ કથીરિયા, હતભાગી પરિવારના એડવોકેટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુ, એન. આર. જાડેજાએ મૌખિક અને લેખિત રીતે 15 દિવસની વચગાળાને જામીન અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો.
