રાત્રે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ફેરફારથી રાજકારણ ગરમાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ દ્વારા શુક્રવારે રાત્રે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે ભાજપ દ્વારા શહેર કરાયેલા આ લિસ્ટમાં શુક્રવારે આખી રાત લાંબી ખેંચતાણ અને ચર્ચા વિચારણાઓ પછી શનિવારે સવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર અને ધરમપુરની બેઠકમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.
ભાજપની યાદીમાં ખંભાળિયા તાલુકાની ધરમપુર બેઠક માટે સક્રિય મહિલા યુવા કાર્યકર નિમિષાબેન નકુમના પતિદેવ નાનજીભાઈ સવજીભાઈ નકુમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તેના સ્થાને હવે ચીમનભાઈ દેવશીભાઈ નકુમને બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત વાડીનાર બેઠક માટે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાના બદલે ક્રિપાલસિંહ એન. જાડેજાનું નામ ફાઇનલ હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે ખંભાળિયા નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 2 માં એક ફેરફાર થયો છે. ભાજપની યાદીમાં કરાયેલા આ ફેરફારથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા સાથે અટકળો વહેતી થઈ છે.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખાનગી કંપનીના વિસ્તાર અને જિલ્લાની પ્રતિષ્ઠા ભરી વાડીનાર બેઠક માટે ભાજપના પૂર્વ નેતા અને ખંભાળિયા તાલુકાના પૂર્વ પ્રમુખના પતિદેવ બહાદુરસિંહ વાઢેરએ શનિવારે અંતિમ દિને આમ આદમી પાર્ટીમાંથી તેમનું નામાંકન ભરતા હવે વાડીનાર બેઠક ચર્ચા સાથે ઉત્તેજનાનું કેન્દ્ર બની રહી છે.
