વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બાળકો ઉઠાવી જવાની ખોટી અફવા ફેલાવનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ વીરપુરમાં બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય હોવાની અને 3 થી 4 બાળકોને ઉપાડી ગયાની ભ્રામક માહિતી વાયરલ કરવામાં આવી હતી. આ અફવાના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો, જેનાથી જાહેર શાંતિ ભંગ થવાની શક્યતા ઊભી થઈ હતી.
પોલીસ તપાસમાં આ અફવા તદ્દન ખોટી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સમાજમાં ભયનો માહોલ ઊભો કરનાર બે આરોપીઓ રમેશ વઘાસિયા અને ધ્રુવલ સાદરાણીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીરપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડે આ પ્રસંગે લોકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર સમાજમાં ભય, ગભરાટ અને જાહેર શાંતિનો ભંગ થાય તેવા વીડિયો અપલોડ કે શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસી લેવી જોઈએ.
