ખંભાળિયા પંથકમાં એક યુવતી પર દુષ્કર્મ ગુજારવા સબબ લખન ગોવિંદ કરમુર અને એક અજાણ્યા શખ્સ સામે ગત તા. 11 ઓક્ટોબરના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓ દ્વારા વારાફરતી દુષ્કર્મ બાદ ભોગ બનનારને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું હતું.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં આ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા એવા જામનગર તાલુકાના રહીશ લખન ગોવિંદ કરમુર (ઉ.વ. 46) અને રમેશ અરજણ ચાવડા (ઉ.વ. 45) નામના બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી.
