ભારત-પાક.યુધ્ધ રોકાવ્યાની વધુ એક વખત મારી ડંફાશ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો, તેમણે પીએમ મોદી અને પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરની પ્રશંસા કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો અને કહયું હતું કે, તેમણે મે મહિનામાં તણાવ ઓછો કરવામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરની ભૂમિકા ભજવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અસીમ મુનીરના લંચ પહેલા વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતા, અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું અને મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી હતી અને અમે ભારત સાથે વેપાર સોદો કરીશું.
ટ્રમ્પે કહ્યું કે જનરલ મુનીરે પાકિસ્તાન તરફથી ઘર્ષણને ઓછી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે પીએમ મોદીએ ભારત તરફથી મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે કહ્યું. બંને પરમાણુ દેશો છે. મેં બે મહાન દેશો વચ્ચે યુદ્ધ અટકાવ્યું, તેમણે પુનરોચ્ચાર કર્યો.
જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી રાત્રે ટ્રમ્પને કહ્યું હતું કે યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થી દ્વારા નહીં પણ ભારત અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેની વાટાઘાટો દ્વારા પ્રાપ્ત થયો છે, એમ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બુધવારે અગાઉ જણાવ્યું હતું.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે મુનિરેે રાષ્ટ્રપતિને ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવા હાકલ કરી હતી.
