અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો પ્રહાર
ભારત સાથે ટેરિફ વોર શરૂૂ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવનનું કહેવું છે કે, ટ્રમ્પે પાકિસ્તાન સાથેની ડીલના કારણે ભારત સાથેના સંબંધોને કુર્બાન કરી દીધા. ખાસ વાત એ છે કે, ટ્રમ્પે ભારત પર 50 ટકા ડ્યુટી લગાવી છે. જ્યારે, તેમણે પાકિસ્તાનને રાહત આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુલિવને કહ્યું કે, દશકોથી અમેરિકાએ ભારત સાથેના પોતાના સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી એક એવો દેશ છે જેની સાથે આપણે ટેકનોલોજી, કૌશલ્ય, અર્થતંત્ર અને ચીનના બદલાતા વલણનો સામનો કરવા માટે એક થવું જોઈએ.
તેમણે કહ્યું કે, પરંતુ હવે ટ્રમ્પના પરિવાર સાથે વેપાર કરવાની પાકિસ્તાનની ઇચ્છા માટે ટ્રમ્પે ભારત સાથેના તેમના સંબંધોને અવગણ્યા છે. આ એક ખૂબ જ મોટો વ્યૂહાત્મક ઝટકો છે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આપણા હિતમાં છે. તેમણે કહ્યું કે, કલ્પના કરો કે જર્મની, જાપાન અથવા કેનેડા આ બધું થઈ રહ્યું જોઈ રહ્યા છે. અને તેઓ વિચારશે કે આવું આપણી સાથે પણ થઈ શકે છે.
તેમણે કહ્યું કે, જો આપણા સાથી દેશો એવા નિષ્કર્ષ પર આવે કે તેઓ કોઈપણ રીતે આપણા પર નિર્ભર રહી શકતા નથી, તો તે અમેરિકાના લોકોના હિતમાં નથી. તેમણે કહ્યું કે, ભારત સાથે જે થઈ રહ્યું છે તેની સીધી અસર આપણા સંબંધો અને દુનિયાભરના સંબંધો પર પડશે.
