ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ

પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…

પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો

અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ હેઠળ લાદવામાં આવેલા વ્યાપક અને વિવાદાસ્પદ ટેરિફને આજે મોટો ઝટકો આપતા સંપૂર્ણપણે રદ કરી દીધા છે. આ નિર્ણય 6 વિરુદ્ધ 3ના મતથી આવ્યો છે અને તેમાં કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિઓ અધિનિયમ ( IEEPA) હેઠળ રાષ્ટ્રપતિને કોઈપણ દેશના માલસામાન પર આયાત શુલ્ક અથવા ટેરિફ લાદવાની કોઈ કાનૂની સત્તા નથી.

મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે લખેલા મુખ્ય અભિપ્રાયમાં કહેવામાં આવ્યું છે કે IEEPAમાં ‘રેગ્યુલેટ’ અને ‘ઇમ્પોર્ટેશન’ જેવા શબ્દોને આધારે રાષ્ટ્રપતિ આવી વિશાળ અને અસીમિત સત્તાનો ઉપયોગ કરી શકે નહીં. આ બે શબ્દો વચ્ચે 16 અન્ય શબ્દો છે, પરંતુ તેઓ આવા વજનને સહન કરી શકે નહીં, એમ રોબર્ટ્સે લખ્યું છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે IEEPAમાં ટેરિફ કે ડ્યુટીનો ક્યાંય ઉલ્લેખ નથી અને અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિએ આ કાયદાનો આવો અર્થ કર્યો નથી.

આ કેસની પૃષ્ઠભૂમિમાં ટ્રમ્પ વહીવટીતંત્રે વર્ષ 2025માં બે મુખ્ય એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આ ટેરિફ લાદ્યા હતા. પ્રથમ ‘ટ્રાફિકિંગ ટેરિફ’માં ચીન, કેનેડા અને મેક્સિકોમાંથી આવતા માલસામાન પર વધારાના શુલ્ક લાદવામાં આવ્યા હતા. કારણ આપવામાં આવ્યું હતું કે આ દેશો ફેન્ટાનિલ જેવી ડ્રગ્સના અમેરિકા પ્રવેશને રોકવામાં પૂરતા પ્રયાસો કરતા નથી. બીજા ‘રેસિપ્રોકલ ટેરિફ’માં વિશ્વના લગભગ તમામ દેશો પર 10 ટકાના પ્રારંભિક આયાત શુલ્ક અને કેટલાક દેશો પર તેનાથી વધુ ઊંચા દરે ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા. આ માટે વેપાર ખાધને ‘રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે અસાધારણ અને અસામાન્ય ખતરો’ ગણવામાં આવ્યો હતો.
આ ટેરિફથી 2025માં અમેરિકાની સરકારને 200 અબજ ડોલરથી વધુની આવક થઈ હતી. પરંતુ આનાથી અસરગ્રસ્ત નાના વ્યવસાયો અને અમેરિકાના કેટલાક રાજ્યોએ લોઅર કોર્ટમાં અરજી કરી હતી. લોઅર કોર્ટ્સે IEEPA હેઠળ આ ટેરિફને અધિકૃત નહીં હોવાનું કહીને અમાન્ય ગણાવ્યા હતા. જોકે, અપીલ દરમિયાન આ નિર્ણયોને સ્થગિત કરવામાં આવ્યા હતા, જેથી સરકાર ટેરિફ વસૂલત કરતી રહી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય અભિપ્રાયમાં મેજર ક્વેસ્ચન્સ ડોક્ટ્રિનનો મહત્વપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંત અનુસાર, વિશાળ આર્થિક અથવા રાજકીય મહત્વની સત્તા માટે કોંગ્રેસે સ્પષ્ટ અને અનુસંધાનિક રીતે અધિકાર સોંપવો જરૂૂરી છે. રોબર્ટ્સે કહ્યું, ટેરિફ લાદવાની સત્તા કોંગ્રેસની મૂળ ‘પર્સ પાવર’ છે. જો કોંગ્રેસ તેને અન્ય શાખાને સોંપે તો તે સ્પષ્ટ રીતે કરે. આ નિર્ણયમાં જસ્ટિસ સોનિયા સોતોમેયોર, એલેના કેગન, કેતાન્જી બ્રાઉન જેક્સને મુખ્ય અભિપ્રાયમાં સાથ આપ્યો છે.

જસ્ટિસ નીલ ગોર્સુચ અને એમી કોની બેરેટે આંશિક રીતે જોડાયા છે. જસ્ટિસ ગોર્સુચે અલગ 46 પાનાના સમર્થક અભિપ્રાયમાં લખ્યું છે કે કોઈપણ મેજર ક્વેસ્ચન કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે એક્ઝિક્યુટિવ બ્રાન્ચના અસાધારણ સત્તાના દાવાને કાયદામાં સ્પષ્ટ સમર્થન મળે છે કે નહીં.
વિરોધી અભિપ્રાયમાં જસ્ટિસ બ્રેટ કાવાનોએ 63 પાનાનો વિસ્તૃત અભિપ્રાય લખ્યો છે. જસ્ટિસ ક્લેરન્સ થોમસ અને સેમ્યુઅલ અલિટોએ તેમાં સાથ આપ્યો છે. કાવાનોએ કહ્યું કે ટેરિફ ઇમ્પોર્ટેશનને નિયંત્રિત કરવાનું પરંપરાગત અને સામાન્ય સાધન છે અને IEEPA તેને પરવાનગી આપે છે. તેમણે મેજર ક્વેસ્ચન્સ ડોક્ટ્રિનને વિદેશી બાબતોમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ લાગુ ન કરવાની વાત કરી અને ચેતવણી આપી કે આ નિર્ણયથી અનેક વેપાર સંધિઓમાં અનિશ્ચિતતા સર્જાશે જેની કિંમત ટ્રિલિયન ડોલરમાં છે.

અમેરિકાએ વસૂલેલા 200 અબજ ડોલર રીફંડ આપવા પડશે?
આ ચુકાદાની તાત્કાલિક અસરો ઘણી વ્યાપક છે. કોર્ટે ટેરિફ રદ કર્યા છે પરંતુ વસૂલ કરેલા 200 અબજ ડોલરના રિફંડ અંગે સ્પષ્ટ નિર્ણય નથી આપ્યો. વ્યવસાયો અને રાજ્યો હવે રિફંડની માંગ કરી શકે છે. વૈશ્વિક સ્તરે આ નિર્ણયથી વેપાર સંબંધોમાં નવી સ્થિરતા આવી શકે છે. ચીન, કેનેડા, મેક્સિકો સહિત અનેક દેશોના નિકાસકારોને રાહત મળશે. આ નિર્ણય અમેરિકાના લોકતંત્રમાં ત્રણેય શાખાઓ વચ્ચેના સંતુલનને પુન:સ્થાપિત કરે છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે અમે અર્થશાસ્ત્ર અથવા વિદેશ નીતિમાં વિશેષ કુશળતા નથી દાવીતા, પરંતુ અમારી ભૂમિકા આર્ટિકલ-3 હેઠળ કાનૂનનું પાલન કરાવવાની છે. આ ચુકાદો ભવિષ્યમાં કોંગ્રેસને ટેરિફ અંગે વધુ સ્પષ્ટ અને મર્યાદિત કાયદા બનાવવા માટે પ્રેરિત કરી શકે છે. વિશ્ર્લેષકોનું માનવું છે કે આ નિર્ણય રાષ્ટ્રપતિની વિદેશી અને આર્થિક નીતિઓ પર અદાલતી નિયંત્રણ વધારશે. જો કે કાવાનોએ સૂચવ્યું છે કે અન્ય કાયદાઓ હેઠળ ટેરિફ લાદવાની સંભાવના હજુ રહે છે. આ ઘટના અમેરિકાના અર્થતંત્ર અને વૈશ્વિક વેપાર માટે એક મહત્વપૂર્ણ વળાંક છે. નાના વ્યવસાયો માટે રાહતની સાથે જ અર્થવ્યવસ્થાની સ્થિરતા વધારવાની તક પણ ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *