ઊંઝામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે યુવાનના મોત નીપજ્યાં હતા. રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાને જીવ ગુમાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મોત નિપજ્યાં હતા. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકસવાર બંને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
