માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું
દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ તે કોઈને કંઈ કર્યા વગર ચાલ્યો ગયો હતો. આ વચ્ચે ગત તા. 6 ના રોજ દીવાદાંડી પાસેના દરિયા કિનારાના પાણીમાં ન્હાવા પડવાના કારણે અથવા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ કમલેશકુમાર દેવરામભાઈ આદિવાસીએ દ્વારકા પોલીસને કરી છે.
દ્વારકામાંથી ગૌમાંસ ઝડપાયું: મહિલા સહિત ત્રણ સામે ગુનો
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલમાબેન ઇલીયાસભાઈ ભડેલા તથા તેના પુત્ર વસીમ ઇલીયાસ ભડેલા દ્વારા તેઓ પાસે વેચાણ અર્થે રાખવામાં આવેલો 50 કિલોગ્રામ જેટલો ગૌમાંસનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. આથી પોલીસે આ માતા-પુત્રની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં ખંભાળિયામાં રહેતા જાવેદ નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશની હત્યા કરી, તેનું માંસ દ્વારકાના ઉપરોક્ત માતા-પુત્રને આપવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે ફરિયાદી બની ગૌવંશની હત્યા કરનારા ખંભાળિયાના જાવેદ ઉપરાંત દ્વારકાના સલમાબેન ઇલીયાસ ભડેલા અને તેણીના પુત્ર વસીમ સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ ચલાવી રહ્યા છે.
