જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો
જામનગર જિલ્લામાં વાહન અકસ્માતની પરંપરા આવીરત ચાલુ રહી છે, અને જામનગર-રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રકતરંજીત બન્યો છે. ધ્રોળ નજીક જાયવા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવારનો ભોગ લેવાયો છે.
ધ્રોલમાં રાધે પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે ભુરાભાઈ વિનોદભાઈ વાજા (51) કે જે આજે સવારે પોતાનું જી.જે. 10 આર 2269 નંબરનું બાઈક લઈને જાયવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેતી જીજે -6 એલ.કે. 2135 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચઢાવતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઈક ચાલક યુવાન રાજેશભાઈ નું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવ અંગે રાજેશભાઈ ના મિત્ર ધ્રોલમાં રહેતા પૂરણદાસ નવનીતલાલ અગ્રાવતે ધ્રોલ પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક ખંભાળિયા પંથકના રણમલ ભાઈ મારખીભાઈ માડમ સામે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે.
