ટંકારાના જોધપર ઝાલા ગામે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
મુળ રાજકોટનાં વતની અને હાલ ગોંડલમાં રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં આધેડ ચક્કર આવતાં ઢળી પડયા બાદ બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કુવાડવા રોડ પર રહેતાં કમલેશભાઈ દુર્લભજીભાઈ જોષી (ઉ.54) ગોંડલમાં આવેલ તિનબત્તી ચોકમાથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં કમલેશભાઈ જોશી ગોંડલમાં રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતાં હતાં. અને સાત મહિના પહેલા તેમને પેરાલીસીસનો હુમલો આવ્યો હતો. ગઈકાલે તેઓ તિનબત્તી ચોકમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ચક્કર આવતાં ઢળી પડવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં ટંકારાના જોધપર ઝાલા ગામે રહેતા ભારતીબેન વિપુલભાઈ પારધી નામના 26 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
