રાજયના રાષ્ટ્રીય ધોરી માર્ગોની બિસ્માર હાલત થઇ ગઇ છે. તાજેતરમાં જ બનાવવામાં આવેલ ભારત સરકારનો પ્રોજેકટ ભારતમાલા હાઇવેમાં પણ ગાબડાઓ પડતા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો હતો અને વાહન ચાલકોને રાહત આપતો ટોલટેકસ માફનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે રાજકોટ-જેતપુર હાઇવે પર પણ ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે તો તેઓને પણ ટોલટેકસમાંથી મુકતી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રાજકોટ-જેતપુર હાઇવેની મર્યાદા પુર્ણ થઇ જવા છતા પણ કામગીરી ચાલુ છે જેનાકારણે દૈનિક લાખો વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ બાબતે હાઇવે સમીતી દ્વારા તાજેતરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જયાં સુધી હાઇવેની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી ટોલટેકસ નહીં ઉઘરાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે તંત્ર દ્વારા કોઇપણ નિર્ણય નહી લેવાતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. ગઇંઅઈંએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે. ઉપરોકત નિર્ણય બાબતે તંત્ર દ્વારા ખોળ અને ગોળની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા છે. ભારતમાલા હાઇવે પર ખરાબ રસ્તાના કારણે ટોલટેકસ મુક્તિ મળી શકતી હોય તો રાજકોટ- જેતપુર હાઇવે પર કેમ મુક્તિ ન મળી શકે? તેવા સવાલો હાઇવે ઓથોરીટી સામે વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે.
