પેટની બીમારીના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર પીજીવીસીએલ કચેરી પાસે આવેલા કૃષ્ણનગર શેરી નં.2માં રહેતા છગનભાઇ લાલજીભાઇ પીપળવા (ઉ.વ.63)નામના વૃધ્ધે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હર્ષદભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને પેટની બિમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ જણાવ્યુ હતું. વધુ તપાસમાં મૃતક કારખાનામાં કામ કરતા હોવાનુ અને અપરિણીત હોય એકલવાયુ જીવન જીવતા હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
