પોલીસ મથકે પહોંચ્યા પણ ભયના માર્યા વ્યાજખોરોના નામ આપી શકયા નહીં
શહેરના એ-ડિવિઝન વિસ્તારમાં રહેતા અને જગમાલ ચોક પાસે આવેલી હવેલી વાળી ગલીમાં દુકાન ધરાવતા 40 વર્ષીય વેપારી નિરવભાઈ અશોકભાઇ સંઘવીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નિરવભાઈ વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા.
આ બાબતે તેઓ બે મહિના અગાઉ પોલીસ મથકે ફરિયાદ કરવા પણ પહોંચ્યા હતા, પરંતુ વ્યાજખોરોના ડર અને નામ જાહેર કરવાના ભયને લીધે તેમણે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ માનસિક દબાણ હેઠળ તેમણે ગઈકાલે સવારે ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં સાંજના સમયે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. મૃતક નિરવભાઈ પોતાના પાછળ વૃદ્ધ માતા-પિતા, પત્ની અને નવ વર્ષની માસૂમ દીકરીને વિલાપ કરતા છોડી ગયા છે.
