રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન જીવરાજ પાર્કમાં પ્રૌઢા અને ગાયત્રીનગરમાં વૃદ્ધનું મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ સહકાર મેઈન રોડ ઉપર નંદા હોલ પાસે રહેતા કિશોરભાઈ મોહનભાઈ ચૌહાણ ઉ.વ.40ને હદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોિસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક યુવકને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં જીવરાજપાર્કમાં આવેલ લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા જ્યોતિબેન જીતુભાઈ ચૌહાણ ઉ.વ.55ને મધરાત્રે હદય રોગનો હુમલો આવી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ત્રીજા બનાવમાં ગોંડલમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ અરજણભાઈ ગોંડલિયા ઉ.વ.60 રાજકોટ એસટી બસ સ્ટેશન બહાર નીકળતાની સાથે જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવળ્યો હતો. વૃદ્ધના મોતની પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
