રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર ગત મોડી રાત્રે જાહેરમાં નશો કરી બોલાચાલી કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ, તારીખ 24 માર્ચ 2026 ના રોજ રાત્રિના આશરે 10:05 કલાકે પોલીસ કંટ્રોલ રૂૂમ (112) ને એક જાગૃત નાગરિક દ્વારા માહિતી મળી હતી કે જલારામ ચોક પાસે ત્રણ ઇસમો અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે.
આ બાતમીના આધારે પી.સી.આર. વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય શખ્સોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલા ત્રણેય ઇસમોએ નશીલા કેફી પ્રવાહીનું સેવન કર્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ નીરુભા ગોહીલની ફરિયાદ મુજબ, જ્યારે આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમના મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ આવી રહી હતી અને તેઓ પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતા નહોતા. આ શખ્સો પાસે નશો કરવા માટેનું કોઈ પણ પ્રકારનું કાયદેસરનું પાસ કે પરમીટ મળી આવ્યું નહોતું.
પકડાયેલા આરોપીઓમાં વિરાટભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (ઉં.વ. 37, રહે. ગીતાનગર), વિક્રમભાઇ અશોકભાઇ સોલંકી (ઉં.વ. 38, રહે. કૃષ્ણનગર) અને ગૌરાંગભાઈ ભદ્રેશભાઇ પુરોહીત (ઉં.વ. 42, રહે. જવાહર રોડ) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વ્યવસાયે ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
