ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આ મામલે બે અલગ-અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 29 ચાંદીના છત્તર અને ચોરીની એક મોટરસાઇકલ સહિત રૂૂ. 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એલ.સી.બી. ટીમના દશરથભાઈ ઘાંઘરને મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી મોચીવાડ વિસ્તારમાંથી ઇમરાનભાઈ રહીમભાઈ ચુડેસરા (રહે. રાવળીયાવદર, તા. ધ્રાંગધ્રા) ને પકડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી આશરે 131 ગ્રામ વજનના 29 ચાંદીના છત્તર જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે રૂૂ. 50,000 છે. આ ઉપરાંત, બહુચરાજી ખાતેથી ચોરી કરાયેલી પલ્સર મોટરસાઇકલ (નં. GJ-38-AK-2075) પણ કબજે કરવામાં આવી છે, જેની કિંમત રૂૂ. 80,000 આંકવામાં આવી છે. આમ, કુલ રૂૂ. 1,30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મંદિરોમાંથી ચાંદીના દાગીના અને મોટરસાઇકલ ચોરી કરવાની ગુનાહિત પદ્ધતિ ધરાવે છે. તેની સામે અગાઉ હળવદ, ધ્રાંગધ્રા તાલુકા અને અન્ય પોલીસ મથકોમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
