લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ભવનાથમાં હૈયે હૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી
ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ ભવ્ય રવેડી અને પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી બાદ મહામેળાનું સમાપન થયું હતું.આ રવેડીના દર્શન કરવા લાખો ભાવિકો ઉમટી પડતાં ભવનાથ તળેટીમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે મહાશિવરાત્રીના પાંચ દિવસના મહામેળામાં પ્રથમ વખત પાંચ લાખ લોકો ઉમટયા હતાં જેના કારણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નખ્યા હતાં.
પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું .હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા.સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર ભવનાથ તળેટી ગુંજી ઉઠી હતી. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સાધુ સંતોની પરંપરાગત રવેડી નીકળી હતી જેમાં સાધુ સંતોએ હેરતઅંગેજ પ્રયોગો રજુ કર્યા હતા. આ રવેડીના દર્શન માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ભવનાથમાં હૈયે હૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી હતી અને ભવનાથ સતત હર.. હર.. મહાદેવ, તથા જય મહાદેવના નારાઓથી ગુંજતું રહ્યું હતું .
