ગેરકાયદે વીજજોડાણના કારણે આગ લાગ્યાના રિપોર્ટ બાદ કાર્યવાહી
રાજકોટની સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગતા જ દર્દીઓમાં નાસભાગ મચી હતી. અમુક દર્દીઓ તો સ્ટ્રેચર મુકીને ભાગ્યા હતા. આગ લાગવાના કારણમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવાના નામે ચાલતા અન્નક્ષેત્રમાં ગેરકાયદેસર મેળવેલ વીજ જોડાણ હોવાના કારણે કેબલની લોડ કેપીસીટી કરતા વધુ લોડ વપરાશના કારણે આ ઘટના બન્યાનું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાને ધ્યાને આવતા અન્નક્ષેત્ર દ્વારા લેવવામાં આવેલ ગેરકાયદેસર વીજ જોડાણ દુર કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગની ઘટનાની તપાસ કરવામાં આવતા અન્નક્ષેત્ર દ્વારા એક્સરે વિભાગ માંથી ગેરકાયદેસર વીજ જોડાણ લઇ વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યા બાદ એક્સરે વિભાગમાંથી લેવામાં આવેલ ગેરકાયદેસર વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં અહીં ગેરકાયદેસર રીતે વિશાળ બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોય ઉચ્ચકક્ષાએ ફરિયાદો પહોંચતા હવે વીજ જોડાણ બાદ આ આખેઆખા ગેરકાયદેસર બાંધકામનો કડૂસલો ભોલાવવા તૈયારીઓ શરૂૂ થઇ હોવાનું પણ જાણવા મળે છે.
આ અન્નક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે હોસ્પિટલના એક્સરે વિભાગમાંથી જ વીજ જોડાણ લેવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉચ્ચકક્ષાએ જતા તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ તપાસના આદેશ આપ્યા હતા અને નાયબ કાર્યપાલક ઈજનેર પીઆઈયુ દ્વારા અન્નક્ષેત્રમાં તપાસ કરવામાં આવતા એક્સ-રે વિભાગમાંથી વીજ જોડાણ લઈ વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં લોકોની સેવાને નામે શરૂૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠતા હોસ્પિટલ સતવાળાઓ દ્વારા આગામી દિવસોમાં ગેરકાયદેસર વીજ જોડાણની જેમ જ પાણીનું કનેક્શન પણ કટ્ટ કરી નાખી ગેરકાયદેસર બાંધકામનો સફાયો કરવા પણ તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અન્નક્ષેત્ર માટે બનાવેલ ઓટલાનું બાંધકામ પણ દુર કરાયું
સિવિલ હોસ્પિટલને પોતાની માલિકીની મિલ્કત સમજી સેવાના નામે મેવા કમાવા સેવાભાવી સંસ્થાઓએ બબ્બે સ્થળોએ અન્નક્ષેત્રના નામે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ઘૂસણખોરી કરી બાંધકામ ઉભા કરી લીધા છે. આ બાબત તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાને ધ્યાને આવતા આ બાબતે હિસાબી અધિકારી ડો.મહેન્દ્ર ચાવડાને તપાસ કરી તાત્કાલિક પગલાં લેવાની સુચના આપી હતી. જેને પગલે સિવિલ હોસ્પિટલના મંદિર પાસે ખડકી દેવામાં આવેલ ઓટલાનું બાંધકામ સિક્યુરિટીની મદદથી દુર કરવામાં આવ્યું હતું.
—
