શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની હાલત કફોડી બની રહી છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિતો માટે અત્યંત આવશ્યક એવા (ડેસ્ફરલ) ઇન્જેક્શનની લાંબા સમયથી અછત હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે શિવસેના દ્વારા કલેક્ટર અને સિવિલ સર્જનને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. શિવસેના આવેદનમાં જણાવ્યું હતું કે થેલેસેમિયાના દર્દીઓ માટે અનિવાર્ય એવા ઇન્જેક્શન ન મળવાને કારણે દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છે.
હોસ્પિટલમાં ઘણીવાર મેડિકલ મશીનો બંધ રહે છે, જેના કારણે સમયસર તપાસ અને સારવાર મળતી નથી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે અણછાજતું અને અસંતોષકારક વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આરોગ્ય સેવાઓમાં અનિયમિતતા અને વહીવટી બેદરકારીને કારણે ગરીબ દર્દીઓને આર્થિક અને માનસિક ત્રાસ ભોગવવો પડી રહ્યો છે.
