1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ 2026-27 રજૂ કર્યું, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલુ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતુ બજેટ છે.
આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ’ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. એટલું જ નહિ, સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને વિકસિત ભારતના નિર્માણમાં આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેન્દ્રીય બજેટ અંતર્ગત ગુજરાતને ભવિષ્યમાં થનારા ફાયદાઓને આવકારતા કહ્યું કે, લોથલ અને ધોળાવીરાનો દેશના પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ’વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં પણ સ્થાનિક રોજગારીની તકો વધશે.
ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ બોન્ડ માર્કેટને સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકારનું પ્રશંસનીય કદમ છે. આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આ બજેટ MSMEથી લઈને મોટા ઊદ્યોગ, સૌને માટે પ્રોત્સાહક બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિક્ધડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે તેમજ ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ પણ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.
આ ઉપરાંત, ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર બનાવવાની જે જાહેરાત થઈ છે તેનાથી દેશની ક્રિટિકલ મિનરલ્સની જરૂૂરિયાતમાં આત્મનિર્ભરતાનું વધુ એક કદમ સાબિત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકારે મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની નજીક 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવાની આ બજેટમાં જાહેરાત કરી છે. બહુવિધ યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ, કૌશલ્ય કેન્દ્રો અને રહેણાંક સંકુલ સહિતના આ આયોજિત શૈક્ષણિક ઝોનથી રાજ્યોની સ્કિલ ઇકોસિસ્ટમને બળ મળશે તેવો મત ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા સુરતને પૂર્વ ભારતના દાનકુની સાથે જોડવાની જાહેરાત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની દિશામાં એક ’માસ્ટરસ્ટ્રોક’ સાબિત થશે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત પાસે હવે પૂર્વ ભારત તરફ વેપાર કરવા માટે ’હાઈ-સ્પીડ’ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, તે રાજ્યના વેપાર અને અર્થતંત્રને અભૂતપૂર્વ ગતિ આપશે. આ ઉપરાંત 20 નવા નેશનલ વોટર વેઝ બનાવવાની જાહેરાતથી દેશમાં જળમાર્ગે પણ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે. આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે તે પણ પ્રસંશનીય છે.
