મુળીના ખાખરાળામાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનો મૃતદેહ મળી આવ્યો

મૂળી તાલુકામાં સગીરાને ભગાડી જવાનાં બનાવો અવાર નવાર સામે આવે છે. ત્યારે મૂળીનાં ખાખરાળા ગામે રહેતી સગીરાને થોડા દિવસ પહેલા અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ…

મૂળી તાલુકામાં સગીરાને ભગાડી જવાનાં બનાવો અવાર નવાર સામે આવે છે. ત્યારે મૂળીનાં ખાખરાળા ગામે રહેતી સગીરાને થોડા દિવસ પહેલા અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ સારવાર માટે લઇ જવામાં આવી હતી. જેમાં સગીરાને અંદાજે 2 માસનો ગર્ભ હોવાની ચોંકાવનારી વિગતો મળી હતી.

બીજી તરફ સગીરાને વધુ પડતા રક્તસ્ત્રાવનાં કારણે તાત્કાલિક સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સારવાર કરાઈ હતી. જેમાં મૂળ બાવળા પાસેનાં અને હાલ ખાખરાળા ગામે રહેતા કુલદિપભાઇ રાયભણભાઇ સોલંકી સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. ત્યારે બનાવનાં એક મહિના જેટલો સમય વિત્યા બાદ સગીરા કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગઇ હતી.

બાદમાં પરિવારજનો દ્વારા શોધખોળ બાદ ગામના જ ખેતરમાંથી જ મંગળવારે સગીરાનો મૃતદેહ મળતા પોલીસ સ્ટેશનનાં રાયસંગભાઇ પરમાર, રવિરાજસિંહ સહિતનાએ મૃતદેહનો કબજો લઇ તેને પીએમ માટે મોકલવા સહિતની કાર્યવાહી આરંભવામાં આવી હતી. બીજી તરફ સગીરાએ ઝેર પીધું હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારે સગીરાએ શા માટે મોતનું વ્હાલું કર્યું ? સહિતની વિગત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *