અંકલેશ્વરના એક ગામમાંથી ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના છેવાડાના અને સુરત જિલ્લાને અડીને આવેલા ગામમાં મદ્રેસાના મૌલવીએ એક મહિલાને લગ્નની લાલચ આપી, સુગંધી પાણી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ધર્માંતરણ માટે ધમકી આપી હતી. આ મામલે પાનોલી પોલીસે તપાસ હાથ ધરી આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ ઘટનાને લઈને મળતી માહિતી અનુસાર ગામમાં રહેતી મહિલાનો પરિચય તેની એક બહેનપણી દ્વારા મદ્રેસાના મૌલવી અઝ્વદ બેમાત સાથે થયો હતો. પરિચય થયા બાદ આરોપી મૌલવીએ મહિલાને વારંવાર મેસેજ અને કોલ કરવાનું શરૂ કર્યું હતું અને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ દરમિયાન ગત 9મી નવેમ્બરના રોજ મૌલવીએ મહિલાને મદ્રેસા ખાતે આવેલા તેના ઘરે બોલાવી અને ત્યાં તેણે મહિલાને કોઈ સુગંધી પાણી પિવડાવ્યું હતું. જેના કારણે મહિલા અર્ધ-બેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈને મૌલવીએ મહિલાની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ બાદ મહિલાને ભાન આવતાં મૌલવીએ તેણે તાત્કાલિક ધર્માંતરણ કરી લેવા માટે દબાણ કર્યું હતું. જો તે ધર્મ અંગીકાર નહીં કરે, તો બદનામ કરવાની અને તેનાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ ધમકીઓથી ડર્યા વિના મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પાનોલી પોલીસને કરી હતી અને આરોપી મૌલવી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મૌલવીની ધરપકડ કરી હતી.
