જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા વિશાલ ધીરુભાઈ જેપાર નામના 12 વર્ષ ના બાળક ને આજે સવારે એકાએક મધમાખી કરડી જતાં તેને વિપરીત અસર થવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું, તેથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક બાળક કે જે થેલેસેમિયા ગ્રસ્ત હતો, અને મધમાખી એ ડંખ માર્યા પછી તેને એકાએક રીએક્શન આવ્યું હતું, અને સારવાર મળે તે પહેલાંજ તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી પણ જી.જી. હોસ્પિટલમાં દોડતી થઈ છે, અને બાળકના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
