રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક ત્રાસનેુ કારણે આ પગલું ભરી લીધું હોવાનો ઘટસ્ફોટ બહાર આવતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે દફનાવેલો મૃતદેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિક ચકાસણી માટે મુક્યો છે.
ભીમાસર ગામમાં રહેતી સગીર વયની વિશ્વા જે ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી. ગતરોજ તા. 17/1 ના તેણે ફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લીધું હતું.ઘટના બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરીને દફનાવાઇ હતી.
ત્યારબાદ તેનો સામાન ચેક કરતી વેળાએ એક બુકમાં હતભાગી સગીરા દ્વારા લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે આ પગલું શાળાની શિક્ષિકા દ્વારા હાથ ઉપાડીને વારંવાર માનસિક ત્રાસ અપાતો હોવાથી ભરી લીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.ચિઠ્ઠી મળતાં જ પરિવારજનો દ્વારા સમાજ તેમજ ગામના પંચોને જાણ કરાતા આ બાબતે આડેસર પોલીસ મથકે રજુઆત કરાઈ હતી જેથી સુસાઇડ નોટના આધારે તેમજ પરિવારજનોની માંગને ધ્યાને લઈને સ્મશાન ખાતે સગીરાનો મૃતદેહ બહાર કાઢીને તેને પલાંસવા સીએચસી ખાતે ખસેડાયો હતો. જ્યાંથી વધુ તપાસ માટે મૃતદેહને જામનગર ખાતે પીએમ અર્થે મોકલાવ્યો હતો. સુસાઇડ નોટ સગીરાએ જ લખી છે કે નહીં તેની ખાત્રી માટે સુસાઇડ નોટની ચીઠ્ઠી ચકાસણી માટે લેબમાં મોકલાઈ છે. દરમ્યાન રાત્રે મળતા અહેવાલ પ્રમાણે શિક્ષિકા જિજ્ઞાશાબેન ચૌધરી સામે મરવા માટે મજબુર કરવાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સ્યુસાઇડનોટમાં લખ્યુ હતું કે, મારા મોતની કારણ જીગનાસ બેન છે તે મને હંમેશા ટોચર કરતા હતા ઘડી વડી સંભળાવતા અને મને હાથ દેખાડતા પાસ નકામી કરી મને તે ઘડી ઘડી સંભળાવતા હું આ બંધુ સહન નહી કરી શકુ એટલે મેં આ પગલુ ભર્યુ છે.